Thursday 5 July 2012

પ્રેરણા

ઉંમર અને ઉત્સાહને કોઈ સંબંધ નથી, એવું કદાપિ ન કહી શકાય કે, ઉંમર વધતાં ઉત્સાહ ઘટતો જાય ! આ બાબતને સાંગોપાંગ ધારણ કરનાર એક ઉદાહરણ અત્રે પ્રસ્તુત છે.
જી હા, આજે વાત કરવી છે, એક નિવૃત શિક્ષકના ઉત્સાહની, જોમની અને જુસ્સાની...

શ્રીમાન રામજીભાઈ જાકાસણિયા મોરબી તાલુકાના જેતપરના વતની છે, આ વડીલ શિક્ષકશ્રી મૂળ તો સી.પી.એડ. ની ડીગ્રી ધરાવે છે, પરંતુ ગણિત-વિજ્ઞાન વિષયમાં હાલના યુવા શિક્ષકોને પણ પાછળ મૂકી દે તેવી પારંગતતા ધરાવે છે.

તા.૨-૭-૧૯૫૨ ના રોજ જન્મેલા શ્રી રામજીભાઈ ઈ.સ. ૧૯૭૨ની સાલમાં ટંકારાના નેકનામ ગામે શિક્ષક તરીકે જોડાયાં. ત્યાંથી ઈ.સ. ૧૯૭૬માં ચકમપર મુકામે બદલી થતાં સતત ૨૪ વર્ષ સુધી ત્યાં જ ફરજ બજાવેલ. નોકરીના છેલ્લાં ૧૦ વર્ષો તેમણે માદરે વતન જેતપરમાં જ ગાળ્યાં.

રામજીભાઈને મળીએ તો કયારેય એવું લાગે જ નહિ કે તેઓ નિવૃત શિક્ષક છે, સતત ઉમંગ અને ઉત્સાહ તેમની આંખોમાં દેખાય. રામજીભાઈએ તેમની શાળાને રાષ્ટ્રીય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં બે-બે વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરાવેલ છે અને તેમની શાળાને રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં સાત વખત પહોંચાડેલ છે. રામજીભાઈ ટપાલ ટિકિટના સંગ્રહનો પણ શોખ ધરાવે છે. તેઓની પાસે ૬૫૦ જેટલી ટિકિટોનો માતબર સંગ્રહ છે!

પ્રયોગ નિદર્શન કરાવતાં રામજીભાઈ 
રામજીભાઈ તેમને મનગમતી એક પ્રવૃત્તિ  કરે છે. તેઓ શાળાએ શાળાએ જઈને વિજ્ઞાનનાં પ્રયોગોનું નિદર્શન કરાવે છે, સાથે સાથે ગણિત અને દ્રષ્ટિભ્રમનાં પ્રયોગો તો ખરાં જ ! રામજીભાઈ શિક્ષક તરીકે નિવૃત થયા, ત્યારથી આ પ્રવૃત્તિ શરૂ કરી છે. તેઓ કહે છે, હું નિવૃત નથી થયો, પણ પ્રવૃત થયો છું !
આ પ્રવૃત્તિ અંતર્ગત તેઓ ધોરણ ૫ થી ૮ નાં ૫૦ થી વધુ વિજ્ઞાનનાં પ્રયોગો, ૧૮ જેટલી ગાણિતિક પઝલ્સ, ૧૧૩ જેટલાં દ્રષ્ટિભ્રમનાં પ્રયોગોનું નિદર્શન કરાવે છે. આ બધું તેમણે આસપાસનાં પર્યાવરણમાં ઉપલબ્ધ સાધનોમાંથી બનાવ્યું છે ! વેસ્ટ માંથી બેસ્ટ કેવી રીતે બનાવાય એ, રામજીભાઈ પાસે શીખવા જેવું છે. તેઓએ પોતાની આગવી સુઝથી નકામી વસ્તુઓમાંથી વિજ્ઞાન શિક્ષણને વધુ રસપ્રદ બનાવે તેવાં શૈક્ષણિક સાધનો બનાવ્યા છે, જે તેમની સર્જનાત્મક દૃષ્ટિનાં દર્શન કરાવે છે. તેઓનો આ મનગમતી પ્રવૃત્તિ કરાવવાનો હેતુ બાળકોમાં અવલોકનની દૃષ્ટિ વિકસાવવાનો અને શિક્ષકોને પ્રેરિત કરવાનો છે.

રામજીભાઈ અત્યાર સુધી ૮૮ વખત જુદી જુદી શાળાઓમાં આ પ્રયોગોનું નિદર્શન કરાવી ચુક્યા છે !
વંદન છે આ શિક્ષકનાં શિક્ષક્ત્વને !

મારા સીઆરસીની શિક્ષક તાલીમમાં 
આપ પણ રામજીભાઈને આપની શાળામાં બોલાવી શકો છો...
સંપર્ક:
શ્રી રામજીભાઈ જાકાસણિયા
મુ. જેતપર, તા. મોરબી, જી. રાજકોટ.

મો. ૯૯૯૮૯ ૫૮૫૪૯